Sunday, March 9, 2014

ભારતમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા

          મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

૧૯૮૪માં રાજીવ ગાંધીની સાથે મળીને ભારતને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રમાં વેગવંતું બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના પ્રયત્નોના પરિણામે આજે ભારતનાં મોટાભાગનાં મહાનગરો અને નગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દૂરસંચારની વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય છે. તેઓ નેશનલ નોલેજ કમિશનના સભ્ય છે. આ કમિશન ભારતમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરે છે. ગયા મે મહિનામાં પિત્રોડાને ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઈન્ફર્મેશન સોસાયટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ૨૦૦૯માં પદ્મ ભૂષણ એવોર્ડ, એ જ વર્ષે રાજીવ ગાંધી ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  

                                                      

No comments:

Post a Comment